રાજકોટ તા.29
કોરોના વાઇરસના કહેરમાં અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાંથી સરકારી તબીબોને ફરજ સોંપવામાં આવી રહી છે. આજે સવારે રાજકોટથી અમદાવાદ ખાતે ફરજ બજાવવા જતા તબીબોની મીની બસ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી 10 કિ.મી. દૂર બંધ થતા તબીબોએ મદદ માંગતા ઓટો રીક્ષામાં આવતા રહો તેવુ રોકડુ પરખાવી દેવાતા તબીબો સ્તબ્ધ થયા હતા અને 1 કલાક ગરમીમાં રઝળપાટ બાદ 108 એમ્બ્યુલન્સમાં બેસી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે હાજર થયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે 6 કલાકે રાજકોટ મેડીકલ કોલેજની મીની બસમાં તબીબો ડો.સેલવેન્દ્ર પી. ડો.સંઘ્યા માર્ગયા, ડો.હાદેવી પલાણ, ડો.વિશાલ ચૌધરી, ડો.તૃષ્ટી પાયાણી, ડો.ઇશિતા મહેતા, ડો.કમલ કાવા અમદાવાદ ખાતે 1200 બેડની સિવિલ હોસ્પિટલ ખાતે ફરજમાં હાજર થવા નીકળ્યા હતા. ત્યારે સવારે 11 કલાકે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલથી 10 કિ.મી. દૂર અચાનક યાંત્રિક ખામીથી બસ બંધ પડતા તબીબો ગરમીમાં રઝળ્યા હતા અને બસ ચાલુ નહી થતા સિવિલ હોસ્પિટલના અમદાવાદનો સંપર્ક સાધતા એક વાન મોકલેલ જેમાં માત્ર ત્રણ તબીબો બેસી શકે તેવી વ્યવસ્થા હોવાથી ફરી ઉચ્ચ અધિકારીને જાણ કરતા તેમણે જણાવ્યું કે ઓટો ભાડે કરી પહોંચો આવો પ્રત્યુતર સાંભળી તબીબો સ્તબ્ધ થયા હતા. આખરે 108 એમ્બયુલન્સમાં તબીબો બેસીને બપોરના સવા બે કલાકે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
આમ કોરોના વોરિયર્સને આરોગ્ય વિભાગની ખાડે ગયેલી વ્યવસ્થાનો ભોગ બનવુ પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.